Sunday, 28 September 2014

દરેક આચાર્યએ આ પોસ્ટ વાચવી

હાલમાં કડી પાસેના ગામમાં એક બાળક ડૂબી જવાની જે દુખદ ઘટના બની,તેના પછી ઘણા બધા વિચારો આવ્યા. આપણે સૌ આચાર્ય મિત્રો અને આપણાં  શિક્ષકો ઉપર પૂરતું ધ્યાન દેતાજ હોઈએ છીએ છતાં પણ આપણી શાળામાં જ અમુક વાર દુર્ઘટનાઓ બની જતી હોય છે. હું કેટલીક દુર્ઘટનાઓ વિશે વાત કરવા માગું છું .
(1) ગત વર્ષે સુરેન્દ્રનગર ના દૂધરેજની એક શાળામાં રિશેષ સમય દરમિયાન બાળક શાળાની કમ્પાઉન્ડ વોલ કૂદીને સીધું પાણીનાં ટાંકામાં પડ્યું અને મરી ગયું.જો કે વાલીઓ અને ગ્રામજનોએ સમગ્ર ઘટનાને એક અકસ્માત બની ગયેલ એવું ધ્યાને લેતા શિક્ષકોને તકલીફ ના પડી.અને આચાર્યએ એ બાળકના વાલીને વિદ્યાદીપ યોજનાનો લાભ પણ અપાવ્યો.
(2) આજથી દસ વર્ષ પહેલા ધ્રાંગધ્રાની નામાંકિત ખાનગી શાળામાં એક બાળક વર્ગખંડમાં પ્રાર્થના પૂરી કરી જઈ રહ્યું હતું અને વર્ગમાં પ્રવેશતા જ વર્ગની બહારની લોખંડની જાળીને અડકયું જેમાં કોઈ કારણોસર વીજપ્રવાહ લીક થઈને પ્રવેશ કરી ગયો હતો અને બાળક અડતાંની સાથે જ મૃત્યુ પામ્યું,પોલિસ કેસ થયા અને સંચાલક સહિત ઘણા બધા શિક્ષકોએ જેલના સળિયા ગણવા પડ્યા,હજુ કોર્ટ કેસ ચાલુ જ છે.
(3) બાળકને મેદાનમાં દોડવાની સજા કરવામાં આવી અને બાળક દોડતા દોડતા જ મગજની નસ ફાટી જતાં મૃત્યુ પામ્યું.આ એક શહેરની પ્રખ્યાત દુર્દઘટના છે.
                                  આપણે ઘણું બધુ ધ્યાન રાખીએ છીએ જ પણ હજુ પણ વધુ ધ્યાન રાખવાની જરૂર છે.
(1) શાળા છૂટ્યા પહેલા એક પણ શિક્ષક શાળા ના છોડે.(અમુક શિક્ષકો બાળકો છૂટે કે તરત જ બાઇકને સ્ટાર્ટ કરી દે છે)
(2) શાળામાં રોજ 2 વાર હાજરી પુરાવી જ જોઈએ, પ્રાર્થના પછી અને રિશેષ પછી જેથી બાળકો ગુલ્લી મારતા અટકે.
(3) જો  તમારી શાળા રોડ ટચ હોય તો બાળકો છૂટ્યા પછી સાવધાની પૂર્વક રોડ પાસ કરે એવી સૂચના આપવામાં આવે અથવા શિક્ષકો રોડ પાસ કરાવે (મારી શાળામાં રોડ પાસ કરવાના શિક્ષકોના અમે વારા રાખેલા છે) બાળકો છૂટ્યા પછી તેમના વાલીઓ તેમને લેવા માટે આવે તેવો આગ્રહ પણ રાખીએ.
(4) શાળા છૂટે ત્યારે દરેક શિક્ષકો વારાફરતી બાળકોને વર્ગખંડમાથી છોડે.ઘણી વાર નાના બાળકો ભીડમાં પડી જાય છે ,ક્યારેક ગૂંગળાય પણ જાય છે.
(5) વારંવાર બાળકોને પ્રાર્થનામાં કેટલીક સૂચનાઓ આપતા જ રહીએ.
(6) 2 કે 3 માળની શાળા હોય તો ધાબા પર જવાના દરવાજે હમેશા લોક મારી રાખીએ.
(7) રિશેષના સમય દરમિયાન બાળકો તોફાન ના કરે એ બાબત પર પૂરતું ધ્યાન આપીએ શકય  બને તો મેદાન માં બાળકોને જોઈ શકીએ એ રીતે મોનિટરોની નિમણૂક કરી શકાય.
(8) શાળાના તમામ ઇલેક્ટ્રિક પોઈન્ટ કારીગરને બતાવી વહેલી તકે રીપેર કરાવી મોટી દુર્ઘટનામાથી બચીએ . 3 પિન માં ચોકનો ભૂકો નાખી દઈએ.
(9) શાળામાં જે કોઈ જગ્યાએ જોખમ દેખાય તે બાબતને ધ્યાનમાં લઈને તાત્કાલિક એ જોખમ ને દૂર કરીએ.
(10) ફર્સ્ટ એઈડ કીટ હાથ વગી જ હોવી જોઈએ. 
(11) સ્ટાફ બેઠક યોજી આ મુદ્દા પર હકારાત્મક ચર્ચા કરી શકાય.

મિત્રો આપણાં થકી જેટલું ધ્યાન રાખી શકાય તેટલું રાખીએ કેમકે આ બાળકો આપણાં આંખના રત્નો છે.
તમારા સૂચનો અને ટિપ્પણીઓ આવકાર્ય છે.

2 comments:

  1. Khub saras post vicharva jvi ane amal ma mukva jvi

    ReplyDelete
  2. Ame amari dhanp prathamik shalama compound nanu hovathi savchetina bhagrupe balako mate ressesma library no upyog ane indoor gamenu ayojan karyu chhe

    ReplyDelete